આજકાલ રોગો ખૂબ જ વકર્યા છે. દિવસે ગરમી લાગે અને રાતે ઠંડક, એવામાં મોસમમાં થતાં આવા ફેરફાર વ્યક્તિને માંદગી તરફ ધકેલે છે. જેમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ પરેશાન થઈ જાય છે.
જે લોકોની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી હોય છે એવા લોકોને આવી સિઝનમાં તાવ, શરદી, ઉધરસ વગેરે જેવી તકલીફો ઝડપથી થતી હોય છે. ઈમ્યૂન સિસ્ટમ નબળી હોવાને કારણે શરીર વાતાવરણમાં રહેલાં બેક્ટેરિયાની ઝપટમાં આવી જાય છે અને વ્યક્તિ બીમાર પડી જાય છે. જેથી આવી સિઝનલ બીમારીઓથી બચીને રહેવા માટે જરૂર છે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવવાની. તો આજે અમે તમને એવા દેશી ઉકાળા વિશે જણાવીશું જે સરળતાથી ઘરે જ બની જશે અને તેનું સેવન તમને આ તમામ સમસ્યાઓથી બચાવશે.
આગળ વાંચો સિઝનલ રોગોથી બચવા ને ઈમ્યૂનિટી સારી રાખવા માટે ખાસ ઉકાળા વિશે.
આ હર્બલ ઉકાળાના લાભ
એલચી, તજ, તુલસીના પાન, સૂંઠ અને મરીને મિક્ષ કરીને બનાવેલો આ ઉકાળો શરીર માટે બહુ જ લાભકારી રહે છે. આ ઉકાળાનું નિયમિત સેવન તમારા શરીરને બીમારીઓથી બચાવશે અને તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે.
આ ઉકાળામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈન્ફ્લેમેટરી તત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે શરીરને ઈન્ફેક્શનથી લડવામાં મદદ કરે છે.
આ સિવાય આ ઉકાળાનું સેવન શરીરને ડિટોક્સીફાઈ પણ કરે છે, જેનાથી પાચનતંત્ર સારું રહે છે.
આગળ વાંચો આ ઉકાળો બનાવવાની સરળ રીત વિશે.
હર્બલ ઉકાળો બનાવવાની રીત
એક એલચી
2-3 મરીનો ભૂકો
2-3 સ્ટીક તજનો ભૂકો
4-5 તુલસીના પાન
1 ચમચી સૂંઠ
રીત- એક તપેલીમાં એક ગ્લાસ પાણી લેવું અને તેમાં આ બધી સામગ્રી નાંખીને તેને દસ મિનિટ સુધી ઉકાળો. હવે આ ઉકાળાને ગાળીને સહેજ ઠંડુ થાય એટલે પી લેવું. વધુ સારો ફાયદો મેળવવા માટે આ ઉકાળાને દિવસમાં બે વાર પીવો.
જો સવારે ખાલી પેટ આ ઉકાળો પીવામાં આવે તો બહુ જ વધારે ફાયદા મેળવી શકાય છે.
જો ઉકાળો વધુ તીખો લાગે તો તમે તેમાં નાની ગાંગડી ગોળ પણ ઉમેરી શકો છો.
કાળા મરીનો ઉકાળો
એક નાની ચમચી કાળા મરી, ચાર ચમચી લીંબુનો રસને પાણીમાં મિક્ષ કરીને ગરમ કરો. દરરોજ સવારે આનું સેવન કરો પછી તેમાં 1 ચમચી મધ મિક્ષ કરીને પીવો. આનાથી તમને શરદી, ઉધરસમાં રાહત મળશે અને આ તમારા શરીરની વધારાની ચરબીને પણ ઘટાડવામાં મદદ કરશે.